News
સુથારપાડા ખાતે પ.૬૭ કરોડના ખર્ચે સી.એચ.સી.નું નવું મકાન અને સ્ટાફ કવાર્ટસ બનાવાશે નાણામંત્રી કનુભાઇ દેસાઇ તથા પાણી પુરવઠા રાજ્યમંત્રી જીતુભાઇ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
માહિતી બ્યુરોઃ વલસાડઃ તા.૧૩: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા સુથારપાડા ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્રનું સુવિધાયુક્ત નવું બિલ્ડિંગ ૩.૭૩ કરોડના ખર્ચે અને સ્ટાફ કવાર્ટસ ૧.૯૭ કરોડ એમ રૂા.પ.૬૭ કરોડના ખર્ચે બનાવવામાં આવશે. આ કામગીરીનું ખાતમુહૂર્ત નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઇ દેસાઇ તેમજ કલ્પસર અને મત્સ્યોદ્યોગ, નર્મદા જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જીતુભાઇ ચૌધરીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ અવસરે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના પ્રજાજનોની સુખાકારી માટે સરકારે અનેકવિધ પ્રજાલક્ષી વિકાસકાર્યો કર્યાં છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી આયુષ્યમાન ભારત યોજના થકી ગરીબમાં ગરીબ વ્યક્તિને સારામાં સારી આરોગ્ય સેવા મળી રહી છે. કોરોના મહામારીમાં લોકોને સારા આરોગ્ય માટેની અનુભૂતિ થઇ છે, કે આપણે સ્વસ્થ્ય જીવન કેવી રીતે જીવવું જોઇએ. યોગથી શરીર તંદુરસ્ત રહે છે, જેના માટે નરેન્દ્રભાઇ મોદીએ યોગ દિવસ શરૂ કર્યો છે. કોરોના મહામારીમાં પડેલી મુશ્કેલી ઓને ધ્યાને લઇ મોટાભાગના સી.એચ.સી.માં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે.
જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે રાશન પૂラરું પાડવામાં આવ્યું છે. કપરાડાના છેવાડે આવેલી સી.એચ.સી. ખૂબ જ સારી કામગીરી કરશે, તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આ અવસરે પાણી પુરવઠા રાજ્યમંત્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, સામુહિક આરોગ્ય કેન્દ્ર આપણા સૌનું છે. સુથારપાડા અને તેની આજુબાજુનો ઝડપી વિકાસ થઇ રહયો છે, ત્યારે આવનારા ભવિષ્યમાં આ સી.એચ.સી.અહીંના પ્રજાજનોને વધુ સારી આરોગ્ય સેવાનો લાભ મળતાં આશીર્વાદરૂપ સાબિત થશે. અહીંની ગીરનારા આશ્રમશાળા સી.એસ.આર. હેઠળ રૂા. એક કરોડના ખર્ચે નવી બની રહી છે. સૌના સહિયારા પ્રયાસથી પ્રજાલક્ષી કામગીરી થઇ રહી છે, જે અભિનંદનીય છે. મંત્રીશ્રીએ કોરોના મહામારી દરમિયાન આરોગ્ય વિભાગના દરેક કર્મીઓએ સંઘર્ષ સાથે કરેલી કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કપરાડા વિસ્તારમાં લોકોની જરૂરિયાત પ્રમાણે રસ્તા સહિતના અનેકવિધ વિકાસકાર્યો થઇ રહયા છે. સુથારપાડા ખાતે ડી.જી.વી.સી.એલ.ની પેટા કચેરી મંજૂર કરવામાં આવી છે. જે આ વિસ્તારના પ્રજાજનોને ખૂબ જ ઉપયોગી નીવડશે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલે નવનિર્માણ થનારા સામૂહિક આરોગ્ય કેન્દ્રની વિગત વાર જાણકારી આપી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલ્કાબેન શાહ, કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ મોહનભાઇ ગરેલ, કારોબારી ચેરમેન ગુલાબભાઇ રાઉત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ, જિલ્લા/ તાલુકા પંચાયત સદસ્યો, આજુબાજુના ગામોના સરપંચ, ગ્રામજનો, આરોગ્ય વિભાગના કર્મીઓ ઉપસ્થિત રહયા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment