News
મુંબઈ અમદાવાદ વચ્ચે બની રહેલા બુલેટ ટ્રેનની કામગીરીનું યુનિયન સ્ટેટ મિનિસ્ટર ઓફ રેલવેના દર્શના જરદોશે નિરીક્ષણ કર્યું
મુંબઈ અમદાવાદ વચ્ચે બની રહેલા બુલેટ ટ્રેનની કામગીરીનું યુનિયન સ્ટેટ મિનિસ્ટર ઓફ રેલવેના દર્શના જરદોશે નિરીક્ષણ કર્યું હતું. રેલવે મિનિસ્ટરે વાપી સહિત 4 સ્થળોએ કામગીરીનું નિરીક્ષણ કરી હાલ કામગીરી ઝડપથી ચાલી રહી હોવાનો સંતોષ વ્યક્ત કરી જણાવ્યું હતું કે આ મહત્વના પ્રોજેકટ અંતર્ગત અત્યાર સુધીમાં 20 કિલોમીટરની કામગીરી પૂર્ણ થઈ છે. અને મુંબઈ અમદાવાદ વચ્ચે 500 પિલર ઉભા થઇ ગયા છે.
ગુરુવારે રેલવે પ્રધાન દર્શના જરદોષ વાપીમાં બની રહેલ બુલેટ ટ્રેનની કામગીરીનું નિરીક્ષણ કરવા આવ્યાં હતા. વાપીમાં દર્શના જરદોશે ડુંગરા વિસ્તારમાં બની રહેલ બુલેટ ટ્રેનના સ્ટેશનની અને દમણગંગા નદીમાં ઉભા કરવામાં આવેલ 4 પિલરની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
રેલવે પ્રધાને તેમની આ મુલાકત દરમ્યાન બુલેટ ટ્રેન પ્રોજેકટ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવમાં કરેલા સંકલ્પમાં મોદી સરકારનો આ મહત્વનો પ્રોજેકટ છે. 2021માં તેની કામગીરીની શરૂઆત થયા બાદ સપ્ટેમ્બરમાં પ્રથમ પિલર ઉભો કરવામાં આવ્યો હતો. જ્યારે હાલની સ્થિતિ મુજબ કુલ 500 જેટલા પિલર ઉભા થઇ ચુક્યા છે.
હાલમાં એન્જીનીયરીંગ વર્ક, સિવિલ વર્કની કામગીરી ઝડપથી ચાલી રહી છે. 4 સ્થળોએ અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું છે. અત્યાર સુધીમાં 20 કિલોમીટરની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. બુલેટ ટ્રેન પ્રોજેકટમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. બુલેટ ટ્રેનની ટેકનોલોજી જાપાનની છે. પરંતુ તેમાં વપરાતી તમામ મશીનરી ભારતમાં બની છે. આ પ્રોજેકટ થકી દેશના અલગ અલગ રાજ્યના 1 લાખ લોકોને રોજગારી મળી રહી છે.
બુલેટ સ્ટેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામની કામગીરી પણ ઝડપભેર ચાલી રહી હોવાનું જણાવતા દર્શના જરદોશે વધુમાં જણાવ્યું હતું કે દરેક સ્ટેશન પણ જે તે શહેરની ખાસિયત મુજબના તૈયાર કરશે. સુરત ડાયમંડ સીટી છે તો તેનું સ્ટેશન ડાયમંડ આકારમાં બનશે. વાપીનું સ્ટેશન દમણગંગા નદીના પાણીના પ્રવાહ જેવું બનશે. શરૂઆતમાં કામગીરી રોજના 4 થી 5 કિલોમીટર પ્રમાણે ચાલતી હતી. આ મહિને તે રોજના 9 કિલોમીટર મુજબ ચાલે છે. આગામી મહિને રોજના 10 કિલોમીટર મુજબ ચાલશે. દરેક સ્ટેશનની ડિઝાઇન નક્કી થઈ ગઈ છે. તેના વર્ક ઓર્ડર પણ અપાઈ ચુક્યા છે.
બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે એકવાયર કરેલ જમીનમાં પણ 99 ટકા જમીન એકવાયર થઈ ચૂકી છે. વળતર પણ ચૂકવાઈ ગયુ છે. મહારાષ્ટ્રમાં પણ બુલેટ ટ્રેન પ્રોજેકટ માં આવતા હર્ડલનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. ટ્રેન પ્રોજેકટ અંતર્ગત બારડોલી-બીલીમોરા વચ્ચે પ્રથમ ટ્રાયલ લેવામાં આવશે. અનેક અડચણો આ પ્રોજેકટમાં છે. વાપીમાં દમણગંગા નદીના પાણીના પ્રવાહમાં 7 પિલર ઉભા કરવાના છે. જેમાં પણ 4 પિલર ઉભા કરી દેવામાં આવ્યા છે.
જો કે મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અવરોધ અંગે, અંરગ્રાઉન્ડ કામગીરી અંગે, વાપી સહિતના સ્ટેશને કેવી સુવિધાઓ હશે? કેટલા કરોડમાં બનશે? તે વિગતો આવનારા દિવસોમાં સંપૂર્ણ વિગત સાથે આપવાનું આશ્વાસન આપી રેલવે પ્રધાન વાપી રેલવે સ્ટેશનથી મુંબઈ તરફની ટ્રેનમાં મુંબઈ જવા માટે રવાના થયા હતાં.ઉલ્લેખનીય છે કે રેલવે પ્રધાનની વાપીની મુલાકાત દરમ્યાન વાપી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો એ વાપી રેલવે સ્ટેશને તેમની મુલાકાત લઈ વાપી પાલિકા વિસ્તારમાં રેલવે ટ્રેકની નીચે બની રહેલ અન્ડર પાસ, ઓવરબ્રિજની કામગીરીમાં રેલવે વિભાગ જરૂરી સહયોગ કરે, રેલવેની વધારાની જમીન વિકાસના કામમાં આપે તેવી રજુઆત કરી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment