News
વાપીમાં આ પ્રોજેકટની કામગીરીને લઈને જૂનું રેલવે ગરનાળુ બંધ કર્યું છે.
વલસાડ જિલ્લાના વાપી સહિત વલસાડમાં હાલ DFCCIL પ્રોજેકટ હેઠળ ફ્રેઈટ કોરિડોરની કામગીરી પ્રગતિમાં છે. વાપીમાં આ પ્રોજેકટની કામગીરીને લઈને જૂનું રેલવે ગરનાળુ બંધ કર્યું છે. વાપીવાસીઓએ આગામી 2 વર્ષ સુધી DFCCIL ના ગતિશીલ પ્રોજેકટને કારણે પીસાવું પડશે.
વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર JNPT (જવાહરલાલ નહેરુ પોર્ટ ટર્મિનલ) થી દાદરી વાયા વડોદરા-અમદાવાદ-પાલનપુર-ફૂલેરા-રેવારી સુધીના ડબલ લાઇન ઇલેક્ટ્રિક (2 એક્સ 25 કેવી) ના 1504 કિલોમીટરના અંતરનો પ્રોજેેેકટ પ્રગતિમાં ચાલીમાં રહ્યો છે. વાપીમાં પણ આ પ્રોજેકટ હેઠળ વોટર ડ્રેઇન, સાઈડ ડ્રેઇન, સેન્ટ્રલ ડ્રેઇન, ગેબી ઓન વોલ, કનેકટિંગ રોડ સહિતની કામગીરી ચાલી રહી છે.
જે અંતર્ગત જુના રેલવે ગરનાળાને બંધ કરવામાં આવ્યું છે. જો કે મળતી વિગતો મુજબ આગામી દિવસોમાં આ ગરનાળુ વલસાડના ગરનાળાની જેમ કાયમી બંધ કરવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
વાપીમાં હાલ DFCCIL (ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા હાથ ધરાયેલ પ્રોજેકટ અંતર્ગત કામગીરી ચાલી રહી છે. વાપીવાસીઓ માટે આ કામગીરી જૂન 2022 સુધી અનેક આપદા આપનારી છે.
સૌ-પ્રથમ તો વાપીને ઇસ્ટ-વેસ્ટ એમ બે ભાગે વંહેંચી દેતી પશ્ચિમ રેલવેની લાઈનને કારણે લોકો માટે રેલવે ઓવરબ્રિજ અને રેલવે ગરનાળુ જ મુખ્ય અવગામનના રસ્તા છે.
જેમાં DFCCIL ના ફ્રેઈટ કોરિડોર પ્રોજેકટમાં ઓવરબ્રિજના પિલ્લર અડચણરૂપ થતા હોય તેને તોડી પડવાની જરૂરત ઉભી થઇ છે. તો ઓવરબ્રિજ પણ 20 વર્ષ જૂનો હોય તેને તોડી નવો બ્રિજ બનાવવા માટે ધારાસભ્ય કનું દેસાઈની પહેલથી 141 કરોડ આસપાસનો નવો બ્રિજ બનાવવાની મંજૂરી મળી છે.
આગામી દિવસોમાં જો ઓવર બ્રિજને તોડી નવા બ્રિજનું કામ શરૂ કરાશે તો ટ્રાફિકને ધ્યાને રાખી હાલ જુના રેલવે ફાટકને ફરી ખુલ્લો કરવો પડશે જે માટે નગરપાલિકાએ, PWD અને રેલવે વિભાગે એકમેક સાથે સંકલન સાધી તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ તમામ તૈયારીઓ વચ્ચે વાપી વાસીઓએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે. હાલમાં DFCL દ્વારા વાપી રેલવે સ્ટેશન નજીક બને તરફ ગટર લાઇન, ટ્રેક સહિતની કામગીરી શરૂ કરી છે. બે દિવસથી જૂનું રેલવે ગરનાળુ પણ બંધ કર્યું છે. એટલે એ વિસ્તારમાં વાહનોના ટ્રાફિકજામની સમસ્યા વકરી રહી છે.
મળતી માહિતી મુજબ આ જૂનું રેલવે ગરનાળુ હવે આગામી દિવસમાં કાયમી બંધ કરવામાં આવશે. જો એવું થાય તો ઇસ્ટ-વેસ્ટ મા આવાગમન માટે માત્ર નવું રેલવે ગરનાળુ એક માત્ર વિકલ્પ રહેશે. જો ચોમાસા પહેલા જુના ફાટક ને ખોલવામાં નહિ આવે અને નવા રેલવે ગરનાળામાં પાણીનો ભરાવો થશે તો વાપીવાસીઓ ઇસ્ટમાંથી વેસ્ટમાં જવા આવવા મોટી આપદા અનુભવશે.
આ પ્રોજેકટ હેઠળ અલગ અલગ પેટા કંપનીઓને કન્સ્ટ્રકશનના કોન્ટ્રાકટ અપાયા છે. JNP થી દાદરી સુધીનો વાયા વાપી, સુરત, વડોદરા, અમદાવાદનો આ ફ્રેઈટ કોરિડોર મહત્વનો પ્રોજેકટ છે. જૂન 2022 સુધીમાં તે પૂર્ણ કરવાનો છે. જેને લઈને વાપી વાસીઓએ હાલાકી ભોગવવી પડશે. જે માટે સ્થાનિક નેતાઓ કે વહીવટીતંત્ર તરફથી કોઈ સુચારુ ઉકેલ મળે તેવી આશા સેવવી પણ નકામી છે.
મુંબઇ વિસ્તારમાં ખાસ કરીને કલ્યાણ-ઉલ્હાસનગર અથવા નવી મુંબઈમાં વશી-બેલાપુર, ગુજરાતના વાપી, અમદાવાદ, કચ્છ-ગાંધીધામ, રાજસ્થાનમાં જયપુર વિસ્તારમાં લોજિસ્ટિક્સ પાર્ક સ્થાપવાની દરખાસ્ત છે. વાપી સહિતનો વિસ્તાર ઔદ્યોગિક વિસ્તાર હોય વાપી મહત્વનું સ્ટેશન હશે. જે માટે હાલ પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. એટલે ગતિશીલ પ્રોજેકટમાં વાપીવાસી ઓએ 2 વર્ષ સુધી પીસાવું પડશે એ ચોક્કસ છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment