News
રાજ્ય વનમંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં કનાડુ ખાતે મહિલા મોરચા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
માહિતી બ્યુરોઃ વલસાડઃ તા.૦૪: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કનાડુ ખાતે મહિલા મોરચા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી રમણલાલ પાટકરે વૃક્ષના માનવ સાથેના સંબંધોનું મહત્ત્વ સમજાવી સૌને પોતાના ઘરની આસપાસ ખુલ્લી જગ્યામાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવા અનુરોધ કર્યો હતો.
આ અવસરે મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કાર્યક્રમનો ઉદેશ સમજાવતા જણાવ્યું હતું કે, આપણા જીવન અને ધર્મ સાથે મોટો નાતો છે. રામાયણમાં સીતા હરણ વખતે સમડીએ સીતાની રક્ષા માટે પોતાનું જીવન ન્યોછાવર કર્યું હતું, ત્યાં સમડીનું ઝાડ ઊગ્યું હતું, જે આજે આપણા દરેક ધાર્મિક પ્રસંગોમાં ઉપયોગમાં લેવાય છે. વૃક્ષમાં જીવ અને લાજ પણ છે, છોડમાં રણછોડ છે, જન્મથી લઈ મૃત્યુ સુધી દરેક પ્રસંગોમાં વૃક્ષની જરૂર પડે છે. વૃક્ષો વરસાદ લાવે છે, જમીનનું ધોવાણ અટકાવે છે. આ વિગતો ધ્યાને રાખી વૃક્ષોનું રક્ષણ કરવા જણાવ્યું હતું. સમતોલ વાતાવરણ માટે ૩૩ ટકા વન વિસ્તાર છે, જેની સામે વન વિભાગ અને ખાનગી જમીન મળી ૨૨ ટકા વન વિસ્તાર છે, જેથી બાકી રહેતા વન વિસ્તારની પૂર્તિ કરવા માટે વૃક્ષો વાવી તેનું જતન કરવા જણાવ્યું હતું. ફણસાના હર્ષદભાઈ અને અલકાબેને કોરોના મહામારીમાં પડેલી ઓક્સિજનની મુશ્કેલીને ધ્યાને લઇ તેમની ૨૨ એકર પૈકી આશરે ૩ એકર જમીન વૃક્ષારોપણ માટે અનામત રાખી છે, અને તેમાં તબક્કાવાર મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરશે, જે ખરેખર અભિનંદનીય છે. સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓની જાણકારી આપતાં મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૪૩૭ આવાસના નિર્માણ માટે સહાય આપવામાં આવનાર છે. નલ સે જલ યોજના હેઠળ ઘર સુધી નળથી પાણી મળે તે પ્રકારની વ્યવસ્થા સરકાર કરી રહી છે. આવનજાવનની સરળતા માટે અનેક રસ્તાના નવીનીકરણના કામો હાથ ધરવામાં આવનાર છે. મંત્રીશ્રીએ વધુમાં કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા પાત્રતા ધરાવતા દરેક વ્યક્તિઓને વેળાસર રસીકરણ કરાવી લેવા જણાવ્યું હતું. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહે પર્યાવરણની જાળવણી માટે જરૂરી માર્ગદર્શન આપી વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવા જણાવ્યું હતું. વલસાડ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ મુકેશભાઈ પટેલે મહિલા મોરચાની સેવાકીય કામગીરીને બિરદાવી હતી અને આવનારા ભવિષ્યમાં સમતોલ વાતાવરણ માટે બહોળી સંખ્યામાં બહોળી સંખ્યામાં વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવા જણાવ્યું હતુ. આ અવસરે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ મુકેશભાઈ પટેલ, જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યો, ઉમરગામ તાલુકા સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી, મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, મહિલા મોરચા પ્રમુખ શોભનાબેન અને તેમની ટીમ, અગ્રણી મહેશ ભાઈ ભટ્ટ, રામદાસભાઈ વરઠા સહિત ખૂબ મોટી સંખ્યામાં મહિલા મોરચાના સભ્યો, આજુબાજુના ગામના સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment