News
ભારે વરસાદથી સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાંથી 7 હજાર લોકોનું સ્થળાંતર, 146 માર્ગ વાહનવ્યવહાર માટે બંધ
સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં આજે બારે મેઘ ખાંગા થતાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. છેલ્લાં ૨૪ કલાકમાં પડેલા ભારે વરસાદને પગલે ૧૫ સ્ટેટ હાઇવે, ૧ નેશનલ હાઇવે અને પંચાયત હસ્તકના ૧૩૦ એમ કુલ ૧૪૬ માર્ગ વાહનવ્યવહાર માટે બંધ થયા છે.
જેમાં મુખ્યત્વે જામનગર-રાજકોટ જિલ્લાના માર્ગના વાહનવ્યવહારને અસર થઇ છે. હવામાન વિભાગે હજુ આગામી ૩ દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હજુ સુધી ૨૧.૩૧ ઈંચ સાથે મોસમનો ૬૪.૪૪% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.
ભારે વરસાદની આગાહીને પગલે અધિક મુખ્ય સચિવ-મહેસૂલના અધ્યક્ષસ્થાને રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકાના કલેક્ટર તથા સિંચાઇ-આઇએમડી-ઇસરો-એનર્જી જેવા લાઇન ડિપાર્ટમેન્ટ સાથે વેબિનારથી મીટિંગ કરાઇ હતી. આ ઉપરાંત જરૃર જણાય તો કોસ્ટગાર્ડ તથા નેવીની મદદ લેવા માટે પણ સંબધિત જિલ્લા કલેક્ટરને સૂચના અપાઇ છે.અત્યારસુધીમાં રાજકોટ જિલ્લામાં ૨૫૫૩, જામનગર જિલ્લામાં ૩૯૬૬, પોરબંદર જિલ્લામાં ૨૨૪, જુનાગઢ જિલ્લામાં પાંચ એમ કુલ ૬૭૪૮ લોકોનું સ્થળાંતર કરાયું છે.
આગામી ૩ દિવસ કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી?
૧૪ સપ્ટેમ્બર : રાજકોટ, જામનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, આણંદ, સુરત, નર્મદા, ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, કચ્છ.
૧૫ સપ્ટેમ્બર : વલસાડ,સુરત, નવસારી. દમણ, જામનગર, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર.
૧૬ સપ્ટેમ્બર : ખેડા, આણંદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, દાહોદ, છોટા ઉદેપુરસ નર્મદા, ડાંગ, તાપી, ભરૃચ, સુરત, નવસારી, વલસાડ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, રાજકોટ, જુનાગઢ.
Previous article
Next article
Leave Comments
Post a Comment