News
વલસાડ જિલ્લામાં હોળી-ધૂળેટીના તહેવાર નિમિત્તે હથિયારબંધી જાહેર કરાઈ
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૦૧ માર્ચ હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણીને ધ્યાનમાં રાખી વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને જાહેર શાંતિ સલામતી જાળવવા માટે વલસાડ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.આર. જ્હાએ તાત્કાલિક અસરથી તા.૦૬-૦૩-૨૦૨૩ થી તા. ૨૦-૦૩-૨૦૨૩ સુધી વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જે અનુસાર શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્પુ, છરા, લાકડી અથવા શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી બીજી ચીજો લઇ જવાની, સ્ફોટક પદાર્થ લઇ જવાની, કોઇપણ સરઘસમાં જતી અથવા પેટાવેલી મશાલ લઇ જવાની, વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવાની, અપમાન કરવાના ઇરાદાથી બિભત્સ સૂત્રો પોકારવાની, અશ્લિલ ગીતો ગાવાની અથવા ટોળામાં ફરવાની, જેનાથી સુરુચિ અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવાની, તેવા હાવભાવ કરવાની, તેવી ચેષ્ટા કરવાની તથા ચિત્રો, પત્રિકા, બોર્ડ અથવા બીજા કોઇપણ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવા, બતાવવા તથા ફેલાવો કરવાની મનાઇ ફરમાવી છે.
આ હુકમ સરકારી નોકર કે કામ કરતી વ્યક્તિઓ કે જેના ઉપરી અધિકારીએ આવું કોઇપણ હથિયાર લઇ જવાની ફરજ હોઇ કે પોલીસ અધિક્ષક વલસાડ અથવા તેણે અધિકૃત કરેલા કોઇપણ પોલીસ અધિકારીએ જેને શારીરિક અશક્તિને કારણે લાઠી લઇ જવાની પરવાનગી આપી હોઇ તેવી વ્યકિત અને જિલ્લા મેજિસ્ટ્રેટે આ અર્થે ખાસ અધિકૃત કરેલી હોય તેવી વ્યક્તિને લાગુ પડશે નહીં.
આ જાહેરનામાના કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને સને-૧૯૫૧ ના મુંબઇ પોલીસ અધિનિયમ (સને-૧૯૫૧ ના ૨૨ મા)ના કાયદાની કલમ-૧૩પ(૧) મુજબ ઓછામાં ઓછી ચાર માસની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા થશે.
Previous article
Next article
Leave Comments
Post a Comment